સરકારની ગાઈડલાઈન મુજબ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું..

પ્રથમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર મહારાષ્ટ્ર થાણેના પ્રવાસી મુલાકાતી વિક્રાંત નીત નાવરેએે કહ્યુ હતુ કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને ઘણો જ આનંદ થયો છે.અમે પરિવાર સાથે અહીં આવ્યા છીએ લોકડાઉન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પુન: શરૂ કરાયું હોવાથી પ્રથમ દિવસે જ અમે ટીકિટ બુક કરાવી.આ મુલાકાત લઇને અમે ખુબ જ ખુશ છીએ, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આ તકે તેમણે આભાર માન્યો હતો.
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના મુલાકાતી પ્રવાસીઓએ ૪૫ માળની ઊંચાઈએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્દય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો માણવાની સાથોસાથ વિધ્યાંચળ-સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું તેમ જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં પ્રદર્શન, લાઇબ્રેરી, સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ પ્રવાસી મુલાકાતીઓએ નિહાળી હતી.
કુલ-૫ સ્લોટની વ્યવસ્થા
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં સવારે ૮થી ૧૦ અને ૧૦થી ૧૨, બપોરે ૧૨થી ૨ અને ૨થી ૪ તેમ જ સાંજે ૪થી ૬ સહિત એમ કુલ-૫ સ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રત્યેક સ્લોટમાં ૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.

કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરની સાથે દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ અપાશે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ટિકિટ દર બે કલાકના સ્લોટમાં ઓનલાઇન ધોરણે જ અધિકૃત ટિકિટ વેબસાઇટ www.soutickets.in ઉપરથી મેળવી શકાશે. પ્રવાસીઓને વધુ પૂછપરછ તેમ જ ફરિયાદ માટે ટોલ ફ્રી ફેલ્પલાઇન નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ પર સંપર્ક સાધવો.