PM મોદીનો જન્મ દિવસ મહિલાઓ માટે બન્યો ખાસ.

ગુજરાત સરકાર આપશે મોટી ભેટ
રાજ્યમાં પહેલીવાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતા-બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવશે.ગુજરાતની મહિલા શક્તિને આત્મનિર્ભર અને સ્વાવલંબી થવા માટે ગુજરાત સરકારે મોટી ભેટ આપી છે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલાઓ લીડ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે.
રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે. કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે.
બેન્કો સાથે ટૂંક સમયમાં યોજનામાં જોડાવા અંગેના MOU રાજ્ય સરકાર કરશે. 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન ધિરાણ મળશે. પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે. કોરોના પછીની સ્થિતિમાં માતા-બહેનોને ઘર પરિવારનો આર્થિક આધાર બનવા નાના માણસની મોટી લોનને સાકાર કરવાનો આ હેતુ છે. આ માટે મુખ્યમંત્રીએ રૂપિયા 175 કરોડનું બજેટ ફાળવ્યું છે.
ગ્રામીણ વિસ્તારોના 50 હજાર અને શહેરી ક્ષેત્રના 50 હજાર મળી કુલ 1 લાખ મહિલા જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં આવરી લેવાનો અભિગમ છે. ગ્રામીણ વિસ્તારોમાં યોજનાનું અમલીકરણ ગ્રામવિકાસ વિભાગના ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા કરાશે. શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત અર્બન લાઇવલી હુડ મિશન અમલીકરણ કરાશે. શ્વેતક્રાંતિમાં અગ્રેસર ગુજરાતની નારી શકિતને હવે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી પોતાના નાના વ્યવસાયો ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌવત કૌશલ્ય અને સપના સાકાર કરવાની તક ગુજરાતની મહિલાઓને આપવામાં આવી છે.