JEE મેઈનનું પરિણામ જાહેર: ગુજરાતના એક સહિત 24 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100%

નવીદિલ્હી: નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા ગત મોડીરાત્રે જેઈઈ મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું જેમાં ગુજરાતના એક સહિત દેશના 24 વિદ્યાર્થીઓએ 100 ટકા મેળવ્યા છે. આ પરિણામ જેઈઈએ પોતાની વેબસાઈટ ઉપર અપલોડ કર્યું હોવાથી વિદ્યાર્થીઓ ત્યાં પરિણામ જોઈ શકશે.
એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની આ પરીક્ષા કોરોનાને કારણે બે વખત ટાળવામાં આવી હતી અને અંતે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવી હતી. આ પરીક્ષામાં સૌથી વધુ તેલંગણાના આઠ વિદ્યાર્થીઓએ 100 ટકા મેળવ્યા છે. જ્યારે દિલ્હીના પાંચ, રાજસ્થાનના ચાર, આંધ્રપ્રદેશના ત્રણ, હરિયાણાના બે તેમજ ગુજરાત-મહારાષ્ટ્રના એક-એક વિદ્યાર્થીએ 100 ટકા હાંસલ કર્યા છે.
સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ)ની મુખ્ય પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાઈ હતી. આઈઆઈટી, એનઆઈટી સહિતના સંસ્થાનોમાં પ્રવેશ માટે યોજાયેલી આ પરીક્ષામાં કુલ 8.58 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી અંદાજે 74 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જેઈઈ મુખ્ય પરીક્ષા-1 અને 2ના પરિણામના આધારે ટોચના 2.45 લાખ વિદ્યાર્થીઓ જેઈઈ-એડવાન્સ પરીક્ષામાં બેસી શકશષ. જેઈઈ એડવાન્સની પરીક્ષા 27 સપ્ટેમ્બરે યોજાશે અને તેમાં પાસ થનારા વિદ્યાર્થીઓને આઈઆઈટીમાં પ્રવેશ મળશે.