
કોરોના સંક્રમણથી બચવા હાલ માસ્ક એ જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ છે. રાજ્યમાં નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં વિવિધ પ્રકારનાં માસ્ક પૈકી ફિલ્ટર કે વાલ્વવાળા માસ્કનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે કોરોનાગ્રસ્ત વ્યક્તિ પહેરે તો વિષાણુઓ પ્રસાર સામે પૂરતું રક્ષણ આપતાં નથી, તેથી આવાં માસ્ક પહેરવા હિતાવહ નથી, એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે, જેથી સાદા (જે અમૂલ ડેરી પર 2 રૂપિયામાં મળી રહે છે) તેમજ કાપડના માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તેમજ કાપડના માસ્કને પણ રોજ પાંચ મિનિટ સુધી ઊકળતા પાણીમાં ધોવા જરુરી છે.
યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રાલય દ્વારા પણ આ પ્રકારનાં માસ્કનો ઉપયોગ ન કરવા માર્ગદર્શિકા આપવામાં આવેલી છે, આથી રાજ્યના તમામ નાગરિકો વાલ્વ કે ફિલ્ટરવાળાં માસ્કનો ઉપયોગ ન કરે, એ તેમના આરોગ્યના હિતમાં છે.
કોરોનાથી બચવા માટે નાગરિકો જ્યારે પણ બહાર નીકળે ત્યારે અવશ્ય માસ્ક પહેરે, બહારથી આવીને સાબુથી હાથ ધોવા, સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરે તો ચોક્કસ તેઓ પોતે અને તેમના પરિવારને સંક્રમણથી બચાવી શકશે. વાલ્વ કે ફિલ્ટરવાળાં માસ્કનો ઉપયોગ ન કરવા માટે લોક જાગૃતિ ફેલાય એ માટે આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે નાગરિકોને પણ યોગ્ય તકેદારી રાખીને આવાં માસ્કનો ઉપયોગ ન કરવા અનુરોધ કરાયો છે.
શરૂઆતથી કોરોના સંરક્ષણ માટે એન 95 માસ્ક સૌથી સલામત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ નિષ્ણાતોએ કહ્યું છે કે વાલ્વવાળા તેમજ એન 95 માસ્ક કોરોના સામે રક્ષણ પૂરું પાડતાં નથી. ત્યાર બાદ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રાલયે પણ આને લગતી માર્ગદર્શિકા જારી કરી હતી. નિષ્ણાતોએ ઘરે સુતરાઉ કાપડના બે-ત્રણ લેયર માસ્ક પણ સલામત જાહેર કર્યા છે. એનો ફરી ઉપયોગ ધોઈને કરી શકાય છે, પરંતુ નિકાલજોગ માસ્કને વારંવાર ઉપયોગમાં લઈ શકાતું નથી.