મોદીના સંપર્કમાં આવ્યા કોરોના સંક્રમિત મંત્રીઓ : ખળભળાટ

હિમાચલ સરકારની મોટી ભૂલ: મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને વનમંત્રી રાકેશ પઠાનિયા કોરોના પોઝિટિવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પહેલા સાર્વજનિક કાર્યક્રમમાં હિમાચલ સરકારની મોટી ચૂક થઈ છે. ૩ ઓકટોબરે અટલ ટનલ રોહતાંગના ઉદ્ઘાટનના માટે આવેલા પીએમ મોદીના સંપર્કમાં રહેલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને વનમંત્રી રાકેશ પઠાનિયા કોરોના પોઝિટિવ આવ્યા છે. કુલ્લુના બજારના સાંસદ સુરેન્દ્ર શૌરીના પ્રાઈમરી કોન્ટેકટમાં હતા. સ્વાસ્થ્ય વિભાગના શૌરીના કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ ટનલ ઉદ્ઘાટન કાર્યક્રમના એક દિવસ પહેલાં એટલે કે ૨ ઓકટોબરે જ આવ્યા હતા.
હિમાચલ સરકારની આ ભૂલે પીએમ મોદી સિવાય રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુર પર પણ કોરોનાનું સંકટ સજર્યું છે. પીએમ મોદીની સાથે મંચ શેર કરનારા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પોતાને આઈસોલેટ કર્યા છે. તેઓએ કહ્યું કે તેમને શૌરીના પોઝિટિવ હોવાની જાણકારી ૩ ઓકટોબરે મળી હતી. પીએમ કાર્યાલયને આ માટેની જાણકારી અપાઈ ન હતી. જો કે અટલ ટનલ કાર્યક્રમ સમયે પીએમ મોદી સાથે નજીકથી વાત કરનારા વનમંત્રી રાકેશ પઠાનિયા પણ સંક્રમિત સાંસદના સંપર્કમાં આવ્યા હોવાથી આઈસોલેટ થયા છે.
પઠાનિયાએ કહ્યું કે શૌરીના પોઝિટિવ હોવાની જાણકારી મુખ્યમંત્રીના આઈસોલેટ થયા બાદ મળી છે. શૌરીએ દૂરથી મુલાકાત કરી હતી અને અમે બંનેએ માસ્ક લગાવ્યા હતા. પણ કોરોના પ્રોટોકોલના આધારે પોતાને આઈસોલેટ કર્યા છે. મુખ્યમંત્રી, મંત્રીના આઈસોલેટ થયા બાદ સીએમના રાજનીતિક સલાહકાર ત્રિલોક જમ્વાલ, ભાજપના સંગઠન મહામંત્રી પવન રાણા સહિત ૬થી વધુ નેતાઓ પણ કવોરન્ટાઈન થયા છે. પીએમ મોદી સાથે મંચ શેર કરનારા શિક્ષામંત્રી ગોવિંદ ઠાકુરે કહ્યું કે તેઓએ મંત્રીઓ સાથે મુલાકાત કરી નથી માટે તેઓ આઈસોલેટ થયા નથી.
સામાન્ય રીતે કોઈપણ વ્યકિતના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમનું કોન્ટેકટ ટ્રેસિંગ કરાય છે અને પ્રાઈમરી કોન્ટેકટને આઈસોલેટ થવાનું કહેવાય છે. પરંતુ શૌરીના પોઝિટિવ આવ્યા બાદ તેમને આઈસોલેટ કરી દેવાયા પણ મુખ્યમંત્રીથી લઈને અન્ય દરેક સાંસદ કોન્ટેકટમાં ફરતા રહ્યા. અન્ય દિવસે પીએમની સાથે મંચથી લઈને સમગ્ર કાર્યક્રમમાં તેમની સાથે રહ્યા. સ્વાસ્થ્ય વિભાગની આ મોટી ચૂકથી હિમાચલની સાથે સાથે પ્રધાનમંત્રી કાર્યાલય પર પણ કોરોનાનો ખતરો તોલાઈ રહ્યો છે.