કોરોના વૅક્સીન: યુવા અને સ્વસ્થ લોકોને 2022 સુધી જોવી પડશે રાહ

WHOનું કહેવું છે કે, પ્રથમ સ્વાસ્થ્ય કર્મચારીઓ, વૃદ્ધ અને પહેલાથી બીમાર લોકો વગેરે આવા જૂથો જેમના કોરોના વાઈરસથી સંક્રમિત થવાનું સૌથી વધુ જોખમ છે, તેમને વૅક્સીન (Corona Vaccine Update) આપવામાં આવશે. જે બાદ આખરે યુવાઓનો નંબર આવશે.
2021 સુધી વિશ્વ પાસે કોરોના વાઈરસની ઓછામાં ઓછી એક અસરકારક અને સુરક્ષિત વૅક્સીન મળવાની આશા વ્યક્ત કરતા ડૉ. સ્વામીનાથને કહ્યું કે, શરૂઆતમાં તે સીમિત માત્રામાં જ ઉપલબ્ધ થશે. આ માટે તેના ઉપયોગને લઈને દેશોએ પ્રાથમિક્તા નક્કી કરવી પડશે.
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે બુધવારે સ્વીકાર્યું કે દેશમાં સંક્રમણથી હાલત ગંભીર થઈ છે. સરકાર મોટાં પગલાં લેવાની તૈયારી કરી રહી છે. બીજી તરફ, પેરિસમાં કર્ફ્યુ લગાવી દેવાયો છે. ફ્રાંસ સરકારે આ મામલે અગાઉથી જ ચેતવણી આપી હતી.

દર્દીઓની સંખ્યા 3.90 કરોડથી વધુ
દુનિયામાં સંક્રમિતોની સંખ્યા 3.90 કરોડથી વધુ થઈ છે. સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 2.91 કરોડથી વધુ થઈ ચૂકી છે. મરનારાઓની સંખ્યા 10.98 લાખને પાર થઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.
ક્યાં સુધી મળશે કારગર વૅક્સીન?
વિશ્વભરમાં અત્યારે લગભગ એક ડઝન કોરોના વાઈરસ વૅક્સીન હ્યુમન ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. જેમાં અમેરિકન કંપની ફાઈઝરની વૅક્સીનના ટ્રાયલના પ્રાથમિક પરિણામો આ મહિનાના અંત સુધીમાં આવી શકે છે. આથી તે ઈમરજન્સી લાઈસન્સ માટે અરજી કરી શકે છે.
જ્યારે ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપનીની ચર્ચિત વૅક્સીનના ટ્રાયલના અંતિમ પરિણામ નવેમ્બરમાં આવી શકે છે. જે બાદ તે આગામી વર્ષની શરૂઆત સુધીમાં ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ શકે છે.