કોરોનાના સંક્રમણને રોકવાં અને નાગરિકોને સુરક્ષિત કરવાં ભાવનગર કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું..

કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરતાં આવશ્યક સેવાઓ ચાલુ રહેશે..
સમગ્ર દેશની સાથે સાથ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને ધ્યાનમાં લઇ રાજ્ય સરકાર દ્વારા વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જે અન્વયે ભાવનગર શહેર સહિતના શહેરોમાં તા.૨૮-૪-૨૦૨૧ થી તા.૫-૫-૨૦૨૧ સુધી દરરોજ રાત્રીનાં ૮:૦૦ કલાકથી સવારના ૬:૦૦ કલાક સુધી રાત્રી કરફ્યુનો અમલ રહેશે. કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરતાં આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
રાજ્ય સરકારની કોરોનાની માર્ગદર્શિકા અને હુકમનું પાલન કરતાં ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડ્યું છે. જે અન્વયે આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે. અંતિમક્રિયા કે દફનવિધિ માટે મહત્તમ ૨૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે.
સમગ્ર જિલ્લામાં સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, સેવાઓ, કેસ ટ્રાન્જેક્શન સેવાઓ, બેંકોનું ક્લિયરિંગ હાઉસ, એ.ટી.એમ./સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહીં.
સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત ગમત ચાલુ રાખી શકાશે. જિલ્લાના તમામ ધાર્મિકસ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે.
ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા-વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો કે પુજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ/ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. અન્ય રાજયોમાંથી ભાવનગર જિલ્લામાં પ્રવેશ કરતા મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
ભાવનગર શહેરના સમગ્ર વિસ્તારોમાં નીચે મુજબના નિયંત્રણો રહેશે..
રાત્રિના ૮:૦૦ કલાકથી સવારના ૬:૦૦ કલાક સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. રાત્રિ કરફ્યુ દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. તેમજ બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે. મુસાફરોને રેલવે, એરપોર્ટ, એસ.ટી. કે સીટી બસની ટિકિટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે. રાત્રી કરફ્યુના સમયગાળા દરમિયાન લગ્ન યોજી શકાશે નહીં. આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓએ અવર જવર દરમિયાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજુ કરવાના રહેશે.
અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમની ઓળખ પત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, સારવારને લગતા કાગળો અને અન્ય પુરાવા રજૂ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક કે વ્યાપારિક પ્રવૃત્તિઓ જેવી કે, દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ (Take away Service સિવાય), તમામ લારી-ગલ્લાઓ, શોપિંગ-કોમ્પ્લેક્ષ, અઠવાડિક ગુજરી, બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઈન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજન સ્થળો, સલુન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પૂલ ઉપરાંત તમામ પ્રકારના મોલ તથા કોમર્શિયલ કોમ્પલેક્ષ બંધ રહેશે.
તમામ માર્કેટિંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. એ.પી.એમ.સી.માં શાકભાજી તથા ફળફળાદી ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-૧૯ માર્ગદર્શક સુચનાઓનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય-સામગ્રીનું વેચાણ અને તે વેચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સર્વિસ અને વોટર રેસ્ટોરન્ટમાંથી એક ફેસીલીટી આપતી સેવાઓ, ઇન્ટરનેટ, ટેલીફોન, મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી.,પી.એને.જી., સી.એન.જી.ને સંબંધિત પંપ ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડોપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરિયર સર્વિસ, ખાનગી સિક્યુરિટી સેવા, પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.
આ તમામ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ આંતરરાજ્ય, આંતર જિલ્લા અને આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન સેવાઓ તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહન વ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન covid-19 માર્ગદર્શક સુચનાઓનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાં પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેન્ક મેનેજમેન્ટ કાળજી લેવાની રહેશે.
આ જાહેરનામામાં/હુકમનો ઉલ્લંઘન કરનારને ધિ એપેડેમિક ડિસીઝ એક્ટ-૧૯૯૩, ધી ગુજરાત એપિડેમિક ડિસીઝ રેગ્યુલેશન-૨૦૨૦, ભારતના ફોજદારી અધિનિયમ(સને ૧૮૬૦ના ૪૫માં અધિનિયમ)ની કલમ ૧૮૮ તથા ધિ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલ પગલાં લેવા તથા ફોજદારી કામમાં માટે હેડ કોન્સ્ટેબલ થી નીચેના ના હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગરના જાહેરનામામાં ફરમાવાયું છે.