
- ગરીબ ખેડૂતોએ માલ પાકે એટલે ગમે તે ભાવે વેચી દેવો પડતો હવે ગોદામ બાંધકામ માટેની યોજનાથી આ મજબૂરી ટળશે
- પોતાના વાહનથી શાકભાજી અને ખેત ઉત્પાદન બજારમાં પહોંચાડવાની ખૂબ સરળતા થશે
વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓના ખેડૂતોએ રાજ્ય સરકારની ખેડૂતોને આત્મ નિર્ભર બનાવવાનો હેતુ ધરાવતી અને તાજેતરમાં અમલમાં મુકવામાં આવેલી મુખ્યમંત્રી પાક સંગરહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાને દિલથી આવકારી છે.તેઓ એક સૂરે કહે છે કે આ યોજનાઓ કિસાનોની લાચારીનું નિવારણ કરશે અને તેમના ખેત ઉત્પાદનના સારા ભાવે વેચાણમાં મદદરૂપ બનશે.
વડોદરા તાલુકાના ચિખોદરા ગામના દેવાભાઇ ભરવાડને પાક સાચવી અને સંગ્રહી શકાય એ માટે ગોદામ બનાવવા યોજના હેઠળ સહાય મળી છે. એ બદલ તેઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અને સંવેદનશીલ રાજ્ય સરકારનો તહેદિલથી આભાર માને છે.
તેઓ કહે છે કે ખેડૂત ગરીબ હોવાથી તેની પાસે ખેતરમાં પાકેલા મોલને સાચવીને રાખવાની સગવડ નથી.એટલે માલ પાકે કે તુરત જ બજારમાં લઈ જઈને જે ભાવ મળે એ ભાવે વેચી દેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.આર્થિક સ્થિતિ પણ એટલી સારી નહિ કે માલ સંઘરવા ગોદામ બનાવી શકે.એટલે વેપારીઓ પણ ખેડૂતોનો ગેરલાભ ઉઠાવતા. આ યોજનાઓથી લાગે છે કે પ્રથમવાર કોઈ સરકારે ખેડૂતોનો વિચાર કર્યો છે.ખેડૂતોને ધ્યાનમાં રાખીને આ સારામાં સારું અને જબરદસ્ત કામ થયું છે.
વડોદરા તાલુકાના જ અર્જુનભાઈ પાટણવાડીયાને પાક સંગ્રહ ગોદામ બનાવવા રૂ.30 હજારની સહાય મળી છે. તેઓ કહે છે કે,ખેડૂત પાસે ઉત્પાદિત પાકને સાચવવાની સુવિધાના અભાવે જ વેપારીઓ તેમનો ગેર લાભ ઉઠાવી સસ્તા ભાવ માલ ખરીદી લે છે.અત્યારે વાતાવરણ ગમે ત્યારે બદલાઈ જાય છે. ગમે ત્યારે વરસાદ પડે અને ગોદામ ના હોય તો તૈયાર પાક બગડે એટલે જે ભાવ મળે તે ભાવે વેચી દેવો પડે.આ સહાય થી ગોદામ બનાવી શકાશે અને ખેડૂતની મજબુરીનું નિવારણ થશે. અમે વિજયભાઈની સરકારના આ યોજના માટે આભારી છીએ.
મુખ્યમંત્રી આત્મ નિર્ભર પેકેજ હેઠળ ખેડૂત કલ્યાણના સાત પગલાં પૈકીની એક એવી મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખાં નિર્માણની યોજના હેઠળ ખેડૂતોને પોતાના ખેતરમાં ૩૩૦ ચોરસ ફૂટનું પાક સંગ્રહ ગોદામ બનાવવા માટે રૂ.૩૦ હજારની સહાય મળવાપાત્ર છે.રાજ્ય સરકારે આ યોજના હેઠળ વડોદરા જિલ્લામાં ૩૬૫૬ ખેત ગોદામ ખેડૂતો બનાવી શકે તે માટે રૂ.૧૦.૯૬ કરોડની જોગવાઈ ચાલુ વર્ષે કરી છે.રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં તેના અમલ માટે રૂ.૩૫૦ કરોડની નાણાંકીય વ્યવસ્થા કરી છે.