અમિત શાહની તબિયત ફરી બગડતાં મોડી રાત્રે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તબિયત લથડતાં તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમિત શાહને આ વખતે પણ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસમા દાખલ કરાયા છે. અમિત શાહને કઈ તકલીફ છે તે અંગે કઈ જાણકારી નથી અપાઈ પણ તેમની તબિયત બગડતાં શનિવારે રાત્રે તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોરોના વાઇરસમાંથી બહાર આવ્યા બાદ અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ત્યારે એઇમ્સના સૂત્રએ જણાવ્યું છે કે, ‘આગામી અમુક દિવસો સુધી અમિત શાહ હોસ્પિટલમાં દાખલ રહે તે તેમના માટે વધારે યોગ્ય છે. અહીં તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવે જેથી સારવાર થઈ શકે.’ હાલ અમિત શાહને એઇમ્સના કાર્ડિયો ન્યૂરો ટાવરમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમિત શાહને 2 ઓગસ્ટે કોરોના થતાં તેમને ગુરગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખવ કરાયા હતા. 14 ઓગસ્ટે અમિત શાહનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપવામાં આવી હતી. પણ સાવચેતી ખાતર તે હોમ ક્વોરેન્ટાઈન થયા હતા.
અમિત શાહને 18 ઓગસ્ટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ દાખલ કરાયા હતા. એ વખતે સ્પષ્ટતા કરાઈ હતી કે, અમિત શાહની તબિત બગડી નથી પણ કોરોનાની સારવાર લીધા પછી તેમની તબિયત પર નજર રાખી શકાય એ માટે તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. શાહની તબિયત સારી થઈ જતાં તેમણે હોસ્પિટલમાંથી જ કામગીરી શરૂ કરી હોવાનું દિલ્લી એઈમ્સ દ્વારા જણાવાયું હતું. શાહને લગભગ બે અઠવાડિયાં સુધી એઈમ્સમાં રખાયા પછી થોડા દિવસો પહેલા જ રજા અપાઈ હતી.